મહમૂદ ગઝ્નવીએ સોમનાથ પર કરેલા આક્રમણને એક હજાર વર્ષ પૂરા થયા છે. ત્યારે સોમનાથમાં સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ કરવામાં આવી છે. આ ઉજવણીમાં ગઈકાલથી જ ઓમકાર મંત્રના જાપ શરૂ થયા છે. જ્યારે આજે સાધુ સંતો દ્વારા ડમરૂના નાદ સાથે રવેડી કાઢવામાં આવી હતી. રાજ્યમાંથી હજારો શ્રદ્ધાળુઓ સોમનાથના દર્શને જઈ રહ્યાં છે. બીજી તરફ વડાપ્રધાન મોદી પણ સોમનાથમાં પધારવાના હોવાથી તેમનો સંપૂર્ણ કાર્યક્રમ સામે આવ્યો છે.
વાઈબ્રન્ટ ગુજરાત રિઝનલ સમિટનું ઉદ્ઘાટન કરાવશે
વડાપ્રધાન મોદી 10મી જાન્યુઆરીએ સાંજે સોમનાથ પહોંચશે. રાત્રે આઠ વાગ્યે મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે. રાત્રે મંદિરમાં ડ્રોન શો નિહાળશે. તેમનુ રાત્રિ રોકાણ પણ સોમનાથમાં જ રહેશે. તેઓ 11 જાન્યુઆરીએ સવારે 9.45 કલાકે શોર્યયાત્રામાં ભાગ લેશે. 10.15 કલાકે સોમનાથ મંદિરમાં પૂજન અર્ચન કરશે. ત્યારબાદ 11.00 કલાકે તેઓ જાહેર સભાને સંબોધશે. સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ રાજકોટ આવશે અને બે વાગ્યે વાઈબ્રન્ટ ગુજરાત રિઝનલ સમિટનું ઉદ્ઘાટન કરાવશે. રાજકોટથી તેઓ અમદાવાદ આવશે.













