સોમનાથ ખાતે આયોજિત સ્વાભિમાન પર્વમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને સોંપાયેલી કામગીરીએ શિક્ષણ જગતમાં નવો વિવાદ જગાવ્યો છે.એક તરફ શાળાઓમાં પરીક્ષાઓ અને બોર્ડની ઉત્તરવહી મૂલ્યાંકનની મહત્વની કામગીરી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ શિક્ષકોને રેલવે સ્ટેશન પર યાત્રાળુઓને લેવા જવાથી લઈને બસમાં બેસાડવા જેવી કન્ડક્ટર સમાન કામગીરીના ઓર્ડર અપાતા શિક્ષક આલમમાં ભારોભાર રોષની લાગણી ફેલાઈ છે.
શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓનો દોર ચાલી રહ્યો છે
ભારતના સંસ્કૃતિ અને પ્રવાસન વિભાગના આયોજન હેઠળ 19 એપ્રિલથી શરૂ થયેલા આ પર્વમાં ઉત્તર પ્રદેશ દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચવાના છે.આ યાત્રાળુઓની વ્યવસ્થા માટે જે વાહનો ફાળવવામાં આવ્યા છે.તેમાં 21થી 23 તારીખે શિક્ષકોને રૂટ સુપરવાઈઝર તરીકે ફરજ સોંપવામાં આવી છે.કામગીરીની યાદીમાં યાત્રાળુઓની ગણતરી કરવી, તેમને બસમાં બેસાડવા, ઉતારાના સ્થળ સુધી સુરક્ષિત પહોંચાડવા અને પાણી નાસ્તાની વ્યવસ્થા જોવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓનો દોર ચાલી રહ્યો છે. બોર્ડની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી અત્યંત મહત્વની તબક્કામાં છે.













