અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. વિરમગામના વંથળ ગામથી કમીજલા ગામ તરફ જતાં રોડ પર એક બાઈકનો અકસ્માત સર્જાતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક પર સવાર પાંચ લોકોમાંથી ત્રણના ઘટના સ્થળે જ મોત થયા છે. આ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચતા વિરમગામની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
બાઈક પર સવાર હતા પાંચ લોકો
ઘટનાની મળતી માહિતી અનુસાર, બાઈક પર કુલ પાંચ લોકો સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવતા આ 'પાંચ સવારી' બાઈકને એક પીકઅપચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જી પીકઅપચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.













