ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન ગિરિમથક સાપુતારાના સર્પાકાર ઘાટ માર્ગ પર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સાપુતારા ઘાટમાં આજે વધુ એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં એક બેકાબૂ બનેલું કન્ટેનર પલટી મારી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘાટ માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
પ્રોટેક્શન વોલનું કામ ચાલતું હતું ત્યાં જ બની ઘટના
ઘટના મળતી માહિતી અનુસાર, તામિલનાડુથી માલસામાન ભરીને અમદાવાદ તરફ જઈ રહેલું એક મોટું કન્ટેનર સાપુતારાના ખતરનાક ઘાટમાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કન્ટેનર રોડ સાઇડ પર પલટી મારી ગયું હતું. ચોંકાવનારી વાત એ છે કે, ઘાટના જે વળાંક પર પ્રોટેક્શન વોલ (સુરક્ષા દીવાલ) બનાવવાની કામગીરી ચાલી રહી છે, બરાબર તે જ જગ્યાએ આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કન્ટેનર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી છે, જેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
અવારનવાર થતા અકસ્માતોથી સ્થાનિકો ચિંતિત, એક્શન પ્લાનની માગ
સાપુતારાના ઘાટ માર્ગ પર અવારનવાર ભારે વાહનો પલટી મારવાની કે, ખીણમાં ખાબકવાની ઘટનાઓ બને છે, જે પ્રવાસીઓ અને સ્થાનિક વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહી છે. વારંવાર બનતી આ હોનારતોને રોકવા માટે હવે કોઈ નક્કર એક્શન પ્લાન બનાવવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે.
પોલીસ અધિકારીનું 'વન-વે' સૂચન અમલમાં મૂકવા માગ
આ અકસ્માત બાદ સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, અગાઉ એક ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા સાપુતારા ઘાટમાં અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમન માટે 'વન-વે ટ્રાફિક' કરવા અંગે એક મહત્વપૂર્ણ સૂચન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો હવે માગ કરી રહ્યા છે કે, જો આ સૂચનનો તાત્કાલિક અમલ કરવામાં આવે, તો ઘાટમાં થતા મોટાભાગના અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યાથી કાયમી છુટકારો મળી શકે તેમ છે.
આ પણ વાંચો - Dang News: આહવા સબ જેલમાંથી 2 આરોપીઓ ગાર્ડને ધક્કો મારીને થયા ફરાર, 4 જેલકર્મીઓ સામે ગુનો દાખલ