ગીરની સરહદે આવેલા અમરેલી જિલ્લામાં વન્યપ્રાણી અને ટ્રેન વચ્ચેના અકસ્માતો અવારનવાર ચર્ચામાં રહે છે, પરંતુ ગત રાત્રે રાજુલા પંથકમાં વન વિભાગ અને રેલવે તંત્રની સમયસૂચકતાને કારણે એક સિંહનો જીવ બચી ગયો હતો. ગુડ્સ ટ્રેન નીચે સિંહ કચડાય તે પહેલા જ ટ્રેનને રોકી દઈ વનરાજાને સુરક્ષિત રીતે ખસેડાયા હતા.
સાવરકુંડલામાં ટ્રેક ઉપર ગુડ્સ ટ્રેન 1 કલાક ઉભી રખાવી
પીપાવાવ પોર્ટથી સાવરકુંડલા તરફ જતી રેલવે લાઈન પર રાજુલાના વાવેરા ગામ નજીક રાત્રિના સમયે એક સિંહ અચાનક ટ્રેક પર આવી ચઢ્યો હતો. સિંહ ટ્રેક પર જ બેસી જતાં માલગાડી (ગુડ્સ ટ્રેન) ના પાયલોટે દૂરથી સિંહને જોઈ લીધો હતો અને તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેન ઉભી રાખી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સિંહ ટ્રેક છોડવા તૈયાર ન હોવાથી વનકર્મીઓ ભારે ચિંતામાં મુકાયા હતા.













