ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાની કુલ 194 ગ્રામ પંચાયતોના નવા મકાનના નિર્માણ માટે ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.ગ્રામ પંચાયત મકાનોના નિર્માણથી ગ્રામ સ્વરાજને વધુ મજબૂતી મળશે તેમજ ગ્રામ્ય નાગરિકોને સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ બનશે.
તમામ રોડના કામ ચોમાસા પહેલા પૂર્ણ
રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, 48 કરોડથી વધુના ખર્ચે અમરેલી જિલ્લાની 194 ગ્રામ પંચાયતોને આધુનિક સુવિધાઓથી સજ્જ નવા મકાનો ઉપલબ્ધ બનશે, જે ગ્રામ પંચાયતોની કાર્યક્ષમતામાં વધારો કરશે અને ગ્રામ્ય વહીવટને વધુ પારદર્શક બનાવશે.આગામી સમયમાં અમરેલી વિધાનસભા મતવિસ્તારના તમામ ગામમાં શાળાના નવા ભવન તૈયાર થશે જેની કામગીરી પ્રગતિતળે છે. માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયત હસ્તકના તમામ રોડના કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી નેમ છે.













