અમરેલી જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે જિલ્લામાં અલગ અલગ પવિત્ર યાત્રાધામ ખાતે ખાણીપીણીની દુકાનો પર ફુડ સેફ્ટી ટીમ દ્વારા સમયાંતરે તપાસણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લાઠીના ભુરખીયા મંદિર ખાતે ખાણીપીણીની દુકાનો પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા તપાસણી કરવામાં આવી હતી. ઉપરાંત તમામ દુકાનોને સ્વચ્છતા બાબતે પુરતી કાળજી લેવા અને હાઈજીનિક કન્ડિશન સંબંધિત સૂચનાઓ આપવામાં આવી હતી.
૧૯ જેટલા ધંધાર્થીઓને નોંધણી પ્રમાણપત્ર એનાયત
આ ચેકિંગ દરમિયાન વિવિધ પ્રકારના ફૂડનો વેપાર કરતા કુલ ૧૯ જેટલા ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ માટેની પ્રક્રિયા હેઠળ નોંધણી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમરેલી વર્તુળ કચેરી દ્વારા ફૂડ લાઇસન્સ માટે નોંધણીને લઈને રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમરેલી વર્તુળ-કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.













