એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર વનવિભાગની માનવીય અને ત્વરિત કામગીરી જોવા મળી છે. લીલીયા તાલુકાના મોટા ગોખરવાળા ગામની સીમમાં આવેલી પાણીની એક ખાલી કેનાલમાં બે સિંહબાળ અકસ્માતે ખાબક્યા હતા. જોકે, વનતંત્રની સમયસૂચકતાને કારણે બંને માસૂમ સિંહબાળનો આબાદ બચાવ થયો છે.
કેનાલમાં ફસાયા સિંહબાળ
ઘટનાની વિગત મુજબ, લીલીયાના મોટા ગોખરવાળા વિસ્તારમાં પસાર થતી સિંચાઈની કેનાલ હાલ ખાલી છે. રાત્રિના સમયે વિચરણ દરમિયાન બે સિંહબાળ અચાનક આ કેનાલમાં પડી ગયા હતા. કેનાલની ઊંડાઈને કારણે સિંહબાળ બહાર નીકળવા અસમર્થ હતા. સવારે સ્થાનિકોએ સિંહબાળના અવાજ સાંભળતા વનવિભાગને તાત્કાલિક જાણ કરી હતી.













