એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક મોડી રાત્રે એક અજાણ્યા વાહને ટક્કર મારતા સિંહણનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે, સિંહણ લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડી હતી.


રોડ ક્રોસ કરતી વખતે સર્જાયો અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, રાત્રિના સમયે સિંહણ નેશનલ હાઈવે ક્રોસ કરી રહી હતી, તે દરમિયાન પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગ્યા બાદ સિંહણને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, આ નેશનલ હાઈવે પર સિંહોની અવરજવર ખૂબ જ વધારે રહેતી હોય છે, જેના કારણે અવારનવાર વન્યજીવો અકસ્માતનો ભોગ બને છે.

વન વિભાગની તપાસ તેજ

આ ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વન વિભાગ દ્વારા સિંહણના મૃતદેહને કબ્જે કરી પોસ્ટ મોર્ટમ માટેની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ હાઈવે પર લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી હિટ-એન્ડ-રન કરનાર વાહનચાલકને ઝડપીને કાયદાનો પાઠ ભણાવી શકાય.




સૌથી વધુ સિંહો ધરાવતા જિલ્લામાં ચિંતા

સમગ્ર ભારત દેશની શાન ગણાતા સાવજોની સૌથી વધુ સંખ્યા અમરેલી જિલ્લામાં છે. ખાસ કરીને જાફરાબાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોનું વિચરણ સતત રહેતું હોય છે. વારંવાર થતા આવા અકસ્માતોને રોકવા માટે વન વિભાગ દ્વારા હાઈવે પર સ્પીડ બ્રેકર કે વન્યજીવો માટેના અંડરપાસ બનાવવાની માગ ફરી તેજ થઈ છે.


આ પણ વાંચો - Amreli News: નવનિર્મિત બ્રિજમાં ભ્રષ્ટાચારના 'ગાબડા'


  • Follow us on: