ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભૂસ્તરીય હલચલ વધી રહી છે, ત્યારે આજે ચરોતર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે ધરતી ધ્રૂજતા અનેક લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘર અને ઓફિસની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
ભૂકંપની વિગત
ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર (ISR) ના જણાવ્યા અનુસાર, આજે સાંજે 4:35 કલાકે આણંદ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ આણંદથી અંદાજે 36 કિમી દૂર નોંધાયું છે.













