કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સુચના મુજબ મહાનગરપાલિકાના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગને કહ્યું છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે લાંભવેલ રોડ ઉપર જોગણી માતાના મંદિર પાસે આવેલા લારી ગલ્લાઓ, લોખંડની કેબીન અને અન્ય તાડપત્રી વાળા દબાણો દૂર કરવામાં આવ્યા છે, આ દબાણો દૂર કરવાથી 50 ગુંઠા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે.
દબાણ મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મનપા વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર લોકોને અડચણરૂપ થાય તેમ ગેરકાયદેસર રીતે લારી ગલ્લા ઉભા ન રાખવા અન્યથા આવા દબાણો દૂર કરવામાં આવશે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આણંદ-કરમસદ વિસ્તારમાં મનપા દ્વારા દબાણ મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે ઉભી રાખવામાં આવતી લારીઓ, ટેમ્પા અને લારી-ગલ્લાઓ સામે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી.













