ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજ દ્વારા સામાજિક સુધારણા માટે એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. આગામી 25 જાન્યુઆરીના રોજ ડીસા ખાતે રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલન અંગે પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી નેતા ગોવાભાઈ રબારીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, આ દિવસે સમાજના નવા સામાજિક બંધારણનું અમલીકરણ કરવામાં આવશે.
50 હજારથી વધુ સમાજના લોકો ઉમટશે
ગોવાભાઈ રબારીના જણાવ્યા મુજબ, આ સંમેલનમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ સહિત પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી 50 હજારથી વધુ સમાજના લોકો ઉમટી પડશે. આ નવા બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવાનો છે. અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ નિયમોના પાલનથી સમાજના વાર્ષિક ₹100 કરોડની બચત થશે. આ બચતની રકમનો ઉપયોગ સમાજની નવી પેઢીના શિક્ષણ પાછળ કરવામાં આવશે, જેથી રબારી સમાજ શૈક્ષણિક રીતે વધુ સક્ષમ બને.













