મુખ્યમંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરાયા બાદ પણ બનાસકાંઠાના પાલનપુર ખાતેના સૂચિત બાયપાસ પ્રોજેક્ટનો વિરોધ યથાવત રહ્યો છે. પાલનપુરના ખોડલા ગામ નજીક મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈને સરકારના આ નિર્ણય સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિરોધમાં ખેડૂતોએ એક ખેડૂતનું બાવલું બનાવીને તેને જૂતાનો હાર પહેરાવીને અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.


ટ્રાફિકની ગંભીર સમસ્યાને હળવી કરવા લેવાયો હતો નિર્ણય

પાલનપુરના એરોમા સર્કલ પરની સતત ટ્રાફિકની ગંભીર સમસ્યાને હળવી કરવા માટે સરકારે પાલનપુર શહેરની ફરતે બાયપાસ બનાવવાનો નિર્ણય લીધો છે. જોકે, આ પ્રોજેક્ટના કારણે જે ખેડૂતોની જમીન સંપાદિત થવાની છે, તેઓ પોતાની ચિંતાઓ અને માંગણીઓ અંગે વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોની મુખ્ય માંગ પૂરતું અને વ્યાજબી વળતર આપવાની છે, તેમજ તેમની અન્ય માંગણીઓ પર પણ ધ્યાન આપવામાં આવે.

ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી

ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, અગાઉ અનેક વખત વિરોધ સાથે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકારે તેમની ચિંતાઓ ધ્યાનમાં લીધી નથી અને તેના પર ધ્યાન આપ્યા વિના જ બાયપાસનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે. આ વલણ સામે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જો સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે. ખેડૂતોનો આ ઉગ્ર વિરોધ દર્શાવે છે કે, વળતર અને તેમની જમીનના મુદ્દે તેઓ કોઈ સમાધાન કરવા તૈયાર નથી અને આ મુદ્દો હવે રાજકીય રંગ પણ પકડી રહ્યો છે. સરકારે ઝડપથી આ મામલે ખેડૂતો સાથે વાટાઘાટો કરીને યોગ્ય ઉકેલ લાવવો જરૂરી છે, અન્યથા વિરોધ વધુ ઉગ્ર બની શકે છે.


આ પણ વાંચો - Bhavnagar News: બેરોજગારીએ લીધો યુવકનો ભોગ, દેશ અને રાજ્યમાં કેટલા લોકોએ કરી આત્મહત્યા?



  • Follow us on: