બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ઓરીના કેસોમાં અચાનક ઉછાળો આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ડિસેમ્બર માસ દરમિયાન લેવાયેલા સેમ્પલ્સમાં ઓરીના 34 શંકાસ્પદ કેસો પૈકી 9 કેસ પોઝિટિવ જાહેર થતા સ્થિતિ ગંભીર બની છે. આ ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગરથી આરોગ્ય કમિશનર પોતે ધાનેરા દોડી આવ્યા છે. તેમણે જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે તાકીદની બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી અને રોગચાળાને કાબૂમાં લેવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ગામેગામ રસીકરણના આદેશ
ઓરીના ફેલાવાને અટકાવવા માટે હવે યુદ્ધના ધોરણે ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણની કામગીરી તેજ કરવામાં આવી છે. જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યાં આરોગ્યની ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. બાળકોમાં ઓરીનું સંક્રમણ ન વધે તે માટે વાલીઓને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય કમિશનરે સ્પષ્ટ સૂચના આપી છે કે એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહેવું જોઈએ, જેથી આ બીમારીને પ્રસરતી અટકાવી શકાય.













