ભાવનગર જિલ્લાના મહુવામાં બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલઘીયા પર થયેલા જીવલેણ હુમલા બાદ કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત 29 ડિસેમ્બરના રોજ થયેલા આ હુમલાને પગલે પીડિત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમને મળવા માટે કોળી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. આ ઘટનાની ગંભીરતાને જોતા મહુવા, રાજુલા અને તળાજાના ધારાસભ્યોએ પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પીડિતના ખબર-અંતર પૂછી ન્યાયની ખાતરી આપી હતી. સમાજમાં આક્રોશ હોવાથી સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પીડિતે જયરાજ આહીર સામે નોંધાવ્યો વિરોધ
પીડિત નવનીત બાલઘીયાએ આ હુમલા પાછળ માયા આહીરના દીકરા જયરાજ આહીરનો હાથ હોવાનો સીધો આરોપ લગાવ્યો છે. પીડિતના જણાવ્યા અનુસાર, જયરાજે હુમલો કરાવી તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ મામલે પોલીસની ભૂમિકા સામે પણ શંકાની સોય ચીંધવામાં આવી છે. પીડિત અને તેમના સમર્થકોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ તંત્ર આ મામલે ઢીલી નીતિ અપનાવી રહ્યું છે. હાલમાં કોળી સમાજના આગેવાનો દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે, જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.













