ભાવનગરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી નોટો વટાવવાનું કૌભાંડ ફૂલ્યું-ફાલ્યું છે, ત્યારે સ્થાનિક પોલીસને આ મામલે મોટી સફળતા હાથ લાગી છે. નકલી નોટોના નેટવર્કને તોડી પાડવા માટે ચાલી રહેલી તપાસમાં પોલીસે વધુ બે શખ્સોની ધરપકડ કરીને આ રેકેટના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.


નકલી નોટો માર્કેટમાં ઘૂસાડવાનો કીમિયો

આ સમગ્ર કેસની શરૂઆત અજય બુધેલીયા નામના શખ્સની અટકાયત સાથે થઈ હતી. પોલીસને બાતમી મળી હતી કે બજારમાં નકલી નોટો ઘુસાડવામાં આવી રહી છે. તપાસ દરમિયાન અજય પાસેથી 200ના દરની કુલ 343 નકલી નોટો મળી આવી હતી. આ નોટો એટલી હદે અસલી જેવી લાગતી હતી કે સામાન્ય માણસ છેતરાઈ જાય.

અન્ય લોકોની સંડોવણી હોવાનું બહાર આવ્યું

પોલીસે અજયની સઘન પૂછપરછ કરતા આ કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે ઓપરેશન હાથ ધરીને ચંદ્રસિંહ સોલંકી અને વિશાલ વાઘેલા નામના વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને શખ્સો નકલી નોટોના વિતરણ અને તેને બજારમાં ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હોવાનું મનાય છે.

મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ નોટો જેની પાસેથી મેળવવામાં આવી હતી, તે મુખ્ય શખ્સ હાલ પોલીસ પકડથી દૂર છે. આ ફરાર વ્યક્તિ જ નકલી નોટો છાપવા અથવા મોટા પાયે મેળવવા પાછળનો મુખ્ય આરોપી હોવાની શંકા છે. પોલીસની અલગ-અલગ ટીમો હાલ આ ફરાર આરોપીને પકડવા માટે સંભવિત સ્થળોએ દરોડા પાડી રહી છે.

સાવચેતીની કરાઇ અપીલ

ભાવનગર પોલીસ દ્વારા વેપારીઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે રૂ. 200ની ચલણી નોટો લેતી વખતે ખાસ તકેદારી રાખવી. આ ટોળકી નાના વેપારીઓને નિશાન બનાવીને નકલી નોટો વટાવતી હોવાની આશંકા છે. આગામી દિવસોમાં આ કેસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની અને અન્ય લોકોની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચોઃ Gujarat News: રાજ્યમાં કરૂણા અભિયાનનું આયોજન, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની મંત્રીની અપીલ 


  • Follow us on: