આજની બદલાઈ રહેલી જીવનશૈલીમાં કિશોરીઓમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે સામાજિક નિસબત દાખવતા 'રોટરી ક્લબ ઑફ ભાવનગર વાયબ્રન્ટ' દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. 21 નવેમ્બરના રોજ શહેરની મુક્તલક્ષ્મી મહિલા વિદ્યાલય ખાતે ખાસ કિશોરીઓ માટે 'PCOD (પોલીસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ)' વિષય પર એક માહિતીપ્રદ જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધોરણ 10માં અભ્યાસ કરતી આશરે 200 જેટલી વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિષય નિષ્ણાત તરીકે બજરંગદાસબાપા આરોગ્યધામના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. નિધી પટેલે સેવા આપી હતી. તેમણે વિદ્યાર્થીનીઓને PCOD થવાના મુખ્ય કારણો, તેના પ્રારંભિક લક્ષણો અને તેના નિવારણ માટે જરૂરી જીવનશૈલી (Lifestyle)માં ફેરફાર વિશે અત્યંત સરળ અને સમજાય તેવી ભાષામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.













