ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોનગઢ નજીક આવેલા વાવ ગામના એક ખેડૂત પર જંગલી મધમાખીઓના ઝુંડે અચાનક હુમલો કરતા ખેડૂતની હાલત અત્યંત ગંભીર બની ગઈ છે. વાવ ગામના ખેડૂત જ્યારે પોતાના ખેતરે કામ અર્થે જઈ રહ્યા હતા, તે સમયે રસ્તામાં અચાનક જંગલી મધમાખીઓનું મોટું ઝુંડ તૂટી પડ્યું હતું. મધમાખીઓએ ખેડૂતને શરીરના અનેક ભાગો પર ડંખ માર્યા હતા. જેના કારણે ખેડૂત લોહીલુહાણ થઈ સ્થળ પર જ ઢળી પડ્યા હતા.
સોનગઢ નજીક ખેતરે જતા ખેડૂત પર મધમાખીઓનો હુમલો
ખેડૂતને બચાવવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ મધમાખીઓનો કહેર એટલો હતો કે નજીક જવું પણ મુશ્કેલ બન્યું હતું. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ખેડૂતને તાત્કાલિક અસરથી ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ ઝેરી મધમાખીઓના અસંખ્ય ડંખને કારણે ખેડૂતની હાલત નાજુક છે અને તેઓ હાલ સઘન સારવાર હેઠળ છે. આ ઘટનાને પગલે વાવ ગામના અન્ય ખેડૂતોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.













