ભાવનગર શહેરના કાળુભા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં સૂર્યરાજ ટાવરની સામે બની રહેલા એક બિલ્ડિંગમાં કામ કરી રહેલા આધેડ શ્રમિક સાતમા માળેથી નીચે પટકાતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


પાણી છાંટતી વખતે સર્જાયો અકસ્માત

ઘટનાની મળતી માહિતી અનુસાર, મૂળ મોરચંદ ગામના વતની 55 વર્ષીય હકાભાઈ બારૈયા આ નિર્માણધીન બિલ્ડિંગમાં બેલદાર તરીકે કામ કરતા હતા. આજે તેઓ બિલ્ડિંગના સાતમા માળે ચણતર કામ પર પાણીનો છંટકાવ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સંતુલન બગડતા તેઓ સાતમા માળેથી સીધા નીચે પટકાયા હતા. ઊંચાઈ પરથી પટકાવાને કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના લીધે તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને સાથી શ્રમિકો એકઠા થઈ ગયા હતા. પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બિલ્ડિંગના નિર્માણ કાર્યમાં સલામતીના સાધનોનો અભાવ હતો કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. મોરચંદ ગામના આ આધેડના મોતના સમાચારથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


આ પણ વાંચો - Bhavnagar News : મેથાળા બંધારા યોજના માટે રાજય સરકાર દ્વારા રૂ.285 કરોડની વહીવટી મંજૂરી અપાઇ : જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ


  • Follow us on: