બગદાણામાં નવનીતને માર મારવાની ઘટનાએ હવે રાજકીય અને સામાજિક વળાંક લીધો છે. આ વિવાદમાં ભાજપ અને ઠાકોર સેનાના આગેવાનો સામસામે આવી ગયા છે. સોશિયલ મીડિયા પર 'ઠાકોર-કોળી ભાઈ-ભાઈ' ના સંદેશા વહેતા થયા છે, જે સામાજિક એકતા સાથે ન્યાયની માંગ મજબૂત કરી રહ્યા છે. ઠાકોર સેનાના આગેવાન ચેતન ઠાકોરે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ. કોઈ કલાકાર હોય એટલે તેને કાયદો હાથમાં લેવાનો અધિકાર મળી જતો નથી. તેમણે માંગ કરી છે કે જેમ અન્ય ગુનેગારોનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે છે, તેમ આ કેસના આરોપીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.
ભાજપ પ્રદેશ પ્રવક્તાનું નિવેદન
બીજી તરફ, આ મુદ્દે ગુજરાત ભાજપે પણ પોતાનું મૌન તોડ્યું છે. ભાજપ પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં સરકાર નિષ્પક્ષ રીતે કામ કરી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ગુનો કરનાર કોઈપણ હોય, તેને છોડવામાં આવશે નહીં. અનિલ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે વિરોધ પક્ષ માત્ર આક્ષેપોની રાજનીતિ કરી રહ્યો છે. બગદાણાની આ ઘટનામાં બંને પક્ષે FIR નોંધાઈ ચૂકી છે અને પોલીસ પોતાની રીતે તપાસ કરી રહી છે. સરકાર 'ઓન્લી પ્રોસિક્યુશન' ના મંત્ર સાથે આગળ વધી રહી છે અને જે કોઈ પણ દોષિત જણાશે તેને સખત સજા કરવામાં આવશે.













