બોટાદ જિલ્લાના ખેડૂત મનસુખભાઈ મગનભાઈ પરમારને ડુંગળીના ભાવ ન મળતાં તેમણે ખેતરમાંથી ડુંગળી કાઢીને લોકોને ફ્રીમાં વહેંચવાનું શરૂ કર્યું છે. મનસુખભાઈએ પોતાની 50 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. ખેડૂતને એક વીઘાએ આશરે રૂ.25,000 જેટલો ખર્ચ થયો હતો. પરંતુ માવઠાથી પાકને નુકસાન થતાં અને સરકાર દ્વારા નિકાસ બંધ કરાતાં ડુંગળીના ભાવ ગગડીને માત્ર રૂ.3 થી રૂ.4 પ્રતિ કિલો થઈ ગયા છે.
માવઠાથી ડુંગળીને નુકસાન થતા ભાવ ગગડ્યા
આ ઓછા ભાવના કારણે ડુંગળીનો ખર્ચ પણ નીકળતો નહોતો. ખેડૂતને મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે, તેથી તેમણે લાખો રૂપિયાનો પાક ખેતરમાં જ સડી ન જાય તે માટે લોકોને ફ્રીમાં આપવાનું શરૂ કર્યું છે. મોટી સંખ્યામાં લોકો તેમના ખેતરે પહોંચીને જરૂરિયાત મુજબ ડુંગળી લઈ રહ્યા છે. મનસુખભાઈએ સરકાર પાસે મદદની અપેક્ષા વ્યક્ત કરી છે.













