બોટાદ જિલ્લાના તુરખા ગામે ગત 15 જાન્યુઆરીના રોજ એક પરિવાર પર થયેલા જીવલેણ હુમલાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 13 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે કરેલા આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નાનીબેન પરમાર નામના મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યો હાલ સારવાર હેઠળ છે.
15 જાન્યુઆરીએ 13 લોકોએ કર્યો હતો હુમલો
આ ઘટનાને બે દિવસ વીતી જવા છતાં હજુ સુધી આરોપીઓની ધરપકડ ન થતા મૃતકના પરિવારજનો અને સમાજના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે પરિવારે નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી તમામ 13 આરોપીઓને ઝડપી પાડવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ મહિલાનો મૃતદેહ સ્વીકારશે નહીં. હાલમાં મૃતકનો દેહ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે.













