છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ફરી એકવાર 'વિકાસનો પનો ટૂંકો' પડ્યો હોવાની ઘટના સામે આવી છે. તાલુકાના ખોખરા ગામમાં એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, ગામનો રસ્તો અત્યંત બિસમાર અને કાચો હોવાથી એમ્બ્યુલન્સ ગામની અંદર આવી શકી નહોતી, જેના કારણે દર્દીને સમયસર સારવાર મળવામાં ભારે વિલંબ થયો હતો.


કાચા રસ્તાને લીધે 108 ગામમાં ન પહોંચી શકી

ગામનો મુખ્ય માર્ગ અને કોઝવે વરસાદી પાણી કે અન્ય કારણોસર ધોવાઈ ગયો હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામની બહાર અડધા કલાક સુધી ઉભી રહી હતી. અંતે, કોઈ વિકલ્પ ન રહેતા ગ્રામજનોએ માનવતા બતાવી સગર્ભા મહિલાને ખુલ્લી પીકઅપ વાન (જીપ) ના પાછળના ભાગે સુવડાવી હતી. આ રીતે અત્યંત જોખમી હાલતમાં ખાડાટેકરા વાળા રસ્તા પરથી મહિલાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી હતી. 800ની વસ્તી ધરાવતા આ ગામના લોકો માટે માંદગીના સમયે હોસ્પિટલ પહોંચવું એક મોટો પડકાર બની ગયો છે.

ખોખરા ગામનો મુખ્ય કોઝવે તદ્દન ધોવાયો

સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી રસ્તા અને કોઝવેના નિર્માણ માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર પોકળ આશ્વાસનો જ આપવામાં આવે છે. મુખ્ય કોઝવે ધોવાઈ જવાથી વાહનવ્યવહાર તો ઠીક, પણ ઈમરજન્સી સેવાઓ પણ ગામ સુધી પહોંચી શકતી નથી. ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ વિલેજના યુગમાં જ્યારે એક પ્રસૂતાને ખુલ્લી જીપમાં દવાખાને લઈ જવી પડે, ત્યારે વહીવટી તંત્રના આયોજન સામે અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: