છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સંસ્કૃતિના પર્વોમાં જેની આતુરતાથી રાહ જોવાય છે તેવો પરંપરાગત 'ચુલનો મેળો' આજે નગરના પટાંગણમાં ભવ્ય રીતે યોજાયો હતો. વર્ષો જૂની પરંપરા મુજબ, હોળીના બીજા દિવસે એટલે કે ધુળેટીના પર્વે આ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આદિવાસી સમાજની અતૂટ શ્રદ્ધા અને સાહસના દર્શન થાય છે.


અંગારા પર ચાલવાની અનોખી આસ્થા

આ મેળાનું મુખ્ય આકર્ષણ ધગધગતા અંગારા પર ચાલવાનો રિવાજ છે. જે શ્રદ્ધાળુઓએ વર્ષ દરમિયાન કોઈ માનતા માની હોય, તે પૂરી થતાં તેઓ ઉઘાડા પગે ધગધગતા અંગારાની 'ચુલ' (ખાડો) પરથી પસાર થાય છે. આદિવાસી યુવાનોને કોઈ પણ જાતની ઈજા વગર અંગારા પર ચાલતા જોઈને હાજર લોકો દંગ રહી ગયા હતા. આ પરંપરા પાછળ એવી માન્યતા છે કે, અગ્નિદેવ તેમના કષ્ટ દૂર કરે છે અને સુખાકારી અર્પે છે.

સંસ્કૃતિ અને સંગીતનો સમન્વય

મેળામાં માત્ર શ્રદ્ધા જ નહીં, પણ આદિવાસી સંસ્કૃતિના રંગો પણ ખીલી ઉઠ્યા હતા. વાંસળી, દદુળી, મોટલા ઢોલ અને ઘુઘરાના નાદ સાથે આખું મેદાન ગુંજી ઉઠ્યું હતું. પરંપરાગત વેશભૂષામાં સજ્જ આદિવાસી યુવક-યુવતીઓએ સંગીતના તાલે નૃત્ય કરીને પોતાની લોક સંસ્કૃતિનો પરિચય આપ્યો હતો. છોટાઉદેપુર નગર અને આસપાસના અંતરિયાળ ગામોમાંથી હજારોની સંખ્યામાં આદિવાસીઓ આ મેળાનો આનંદ માણવા ઉમટી પડ્યા હતા.


આ પણ વાંચો - Chhota Udepur : નસવાડીમાં પરપ્રાંતિયો અને યુવાનો વચ્ચે મોટી બબાલ, પથ્થરમારામાં 8થી 10 લોકો ઘાયલ, વાહનોની તોડફોડ


  • Follow us on: