દાહોદ જિલ્લાના ફતેપુરામાં ખાતર વિતરણને લઈને વહીવટી તંત્રની એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે સ્થાનિક જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ચોમાસાની સીઝન બિલકુલ માથે હોવાથી ખેડૂતો વાવણીની તૈયારીઓ માટે વહેલી સવારથી જ ફતેપુરાના સરકારી ડેપો ખાતે ખાતર લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જોકે, કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં ડેપો બંધ રહેતા ખેડૂતોમાં વ્યાપક આક્રોશ અને અસંતોષ ફેલાયો હતો.
કોઈ પણ સૂચના વગર ડેપો બંધ, ખેડૂતો ધક્કા ખાવા મજબૂર
આજે ખાસ કરીને મોટીરેલ પૂર્વ ગામના ખેડૂતોનો ખાતર મેળવવાનો વારો નક્કી કરવામાં આવ્યો હતો. તેમ છતાં, વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ આગોતરી જાણ કે નોટિસ બોર્ડ માર્યા વગર જ સરકારી ડેપો અચાનક બંધ રાખવામાં આવ્યો હતો. પોતાના ખેતીના મહત્ત્વના કામધંધા છોડીને, દૂર-દૂરથી ભાડાના વાહનો કરીને આવેલા ગરીબ ખેડૂતો વહીવટી તંત્રની આ આળસુ નીતિ અને લાલિયાવાડીને કારણે કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા હતા.













