દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા અત્યંત ધીમી ચાલતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી ખામી અને ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથે નારાજ ખેડૂતોએ તંત્રને આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા ઠાલવી છે. ભાણવડ તાલુકામાં કુલ 15,500 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે. જોકે, ખરીદી શરૂ થયાને લાંબો સમય વીતવા છતાં હજુ સુધી અડધા ખેડૂતોનો પણ વારો આવ્યો નથી.


જણસીની ખરીદી માટે લાંબી રાહ જોવી પડે છે: ખેડૂત

ખેડૂતોનો આક્ષેપ છે કે ખરીદી કરનાર મંડળીઓ દ્વારા નિયમોને નેવે મૂકીને 'બરોબાર' જણસીની ખરીદી કરી લેવામાં આવે છે, જેના કારણે સામાન્ય ખેડૂતોએ લાંબી રાહ જોવી પડે છે. ખેડૂતોએ અન્ય માર્કેટિંગ યાર્ડ સાથે સરખામણી કરતા જણાવ્યું કે: બાજુમાં આવેલ જામજોધપુર APMC માં દરરોજ 400 થી 500 ખેડૂતોની મગફળી ખરીદાય છે. જ્યારે ભાણવડ APMC માં દરરોજ માંડ 100 ખેડૂતોની મગફળી પણ સ્વીકારવામાં આવતી નથી.

ખેડૂતોની આર્થિક સ્થિતિ પર માઠી અસર

ખેડૂતોમાં ચિંતા છે કે જો આટલી ધીમી ગતિએ ખરીદી ચાલશે, તો બાકીના હજારો ખેડૂતોનો વારો ક્યારે આવશે? મોડી ખરીદીના કારણે પૈસા મળવામાં પણ વિલંબ થશે, જે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર માઠી અસર કરશે. ખેડૂતોએ આ પ્રક્રિયામાં ચાલતા કથિત ભ્રષ્ટાચારને અટકાવી તાત્કાલિક ખરીદીની ક્ષમતા વધારવા માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: