પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કચ્છ વિસ્તારના રેલ નેટવર્કને વધુ આધુનિક અને સક્ષમ બનાવવાની દિશામાં એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ગાંધીધામ-આદિપુર રેલખંડ વચ્ચે ચૌહરીકરણ (Quadrupling) અને આદિપુર સ્ટેશન પર ‘વાય’ (Y-Connectivity) કનેક્ટિવિટીનું જટિલ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. 9 ફેબ્રુઆરી 2026ના રોજ રેલ સુરક્ષા આયુક્ત (CRS) ઈ. શ્રીનિવાસ દ્વારા આ નવા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.


પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ

આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ 17 કિમી ટ્રેક લિંકિંગ, 8 નાના પુલોનું નિર્માણ અને 2.60 લાખ ઘનમીટર અર્થવર્ક કરવામાં આવ્યું છે. આદિપુર સ્ટેશન પર આધુનિક સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન બિલ્ડિંગ તૈયાર કરાયું છે. આ સાથે જ ગોપાલપુર સ્ટેશનને પણ આધુનિક ઓપનલાઇન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવ્યું છે.

મુસાફરો અને વેપારને શું થશે ફાયદો?

ગોપાલપુર નવા સ્ટેશન અને 'વાય' કનેક્ટિવિટીના કારણે અમદાવાદ તરફથી આવતી ટ્રેનોને હવે ગાંધીધામમાં એન્જિન બદલવાની (રિવર્સલ) જરૂર નહીં પડે. જેનાથી મુસાફરોની આશરે 20 થી 25 મિનિટ બચશે. કંડલા અને મુન્દ્રા પોર્ટથી આવતા મીઠું, ખાતર અને પેટ્રોલિયમ જેવા માલના પરિવહનમાં ઝડપ આવશે. આ સેક્શન વાર્ષિક 70 મિલિયન ટનથી વધુ લોડિંગ ધરાવે છે, જે હવે વધુ સરળ બનશે. લાઈન ક્ષમતા વધવાને કારણે ભવિષ્યમાં આ રૂટ પર વધુ પેસેન્જર ટ્રેનો અને સ્પેશિયલ ફેરા શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે.

કચ્છ માટે 'ગેમ ચેન્જર' પ્રોજેક્ટ

કચ્છના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે આ પ્રોજેક્ટ એક 'ગેમ ચેન્જર' સાબિત થશે. ગાંધીધામ-આદિપુર વચ્ચેની આ ચોથી લાઈન શરૂ થવાથી રેલવેના સંચાલન પરનું દબાણ ઘટશે અને સુરક્ષામાં વધારો થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: