ગાંધીધામના ટાગોર રોડ પર સર્જાયેલા ભયાનક અકસ્માત મામલે કાયદાકીય કાર્યવાહી તેજ બની છે. બે નિર્દોષ યુવાનોના જીવ લેનારા ચારેય આરોપીઓને પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામ પાસાઓની સુનાવણી બાદ આરોપીઓના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઘટનાસ્થળે અને કોર્ટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
જ્યારે પોલીસ આ નબીરાઓને કોર્ટમાં રજૂ કરવા લાવી ત્યારે મૃતકોના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ આ નબીરાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ નબીરાઓએ ટાગોર રોડ પર બેફામ ઝડપે કાર હંકારીને એક્ટિવા સવાર યુવાનોને અડફેટે લીધા હતા, જેમાં બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા. પોલીસે અકસ્માતગ્રસ્ત કાર અને એક્ટિવા સહિતના ત્રણેય વાહનોનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) પરીક્ષણ કરાવ્યું છે, જેથી વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરી શકાય.













