ગાંધીધામના ટાગોર રોડ પર સર્જાયેલા ભયાનક અકસ્માત મામલે કાયદાકીય કાર્યવાહી તેજ બની છે. બે નિર્દોષ યુવાનોના જીવ લેનારા ચારેય આરોપીઓને પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામ પાસાઓની સુનાવણી બાદ આરોપીઓના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.


ઘટનાસ્થળે અને કોર્ટમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

જ્યારે પોલીસ આ નબીરાઓને કોર્ટમાં રજૂ કરવા લાવી ત્યારે મૃતકોના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ આ નબીરાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ નબીરાઓએ ટાગોર રોડ પર બેફામ ઝડપે કાર હંકારીને એક્ટિવા સવાર યુવાનોને અડફેટે લીધા હતા, જેમાં બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા. પોલીસે અકસ્માતગ્રસ્ત કાર અને એક્ટિવા સહિતના ત્રણેય વાહનોનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) પરીક્ષણ કરાવ્યું છે, જેથી વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરી શકાય.

રિમાન્ડ દરમિયાન થશે પૂછપરછ

પોલીસે કોર્ટ પાસે વધુ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે એક દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ નીચેની બાબતોની તપાસ કરશે: અકસ્માત સમયે આરોપીઓ નશાની હાલતમાં હતા કે કેમ? અકસ્માત બાદ કોણે કોણે આ નબીરાઓને આશરો આપ્યો હતો? કારની ગતિ કેટલી હતી અને ઘટના પાછળનું મુખ્ય કારણ શું હતું? ગાંધીધામના આ કિસ્સાએ સમગ્ર કચ્છમાં ચકચાર મચાવી છે. પોલીસે ખાતરી આપી છે કે તપાસમાં કોઈ કચાશ રાખવામાં આવશે નહીં અને પુરાવાઓ સાથે કેસ મજબૂત બનાવવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: