પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમે મોટા કૌંભાડનો પર્દાફાશ કર્યો છે જેમાં લોકોને લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવડાવ્યા બાદ આ ખાતા વિદેશી ઠગબાજોને ફ્રોડ માટે પૂરા પાડવામાં આવતા હતા.
રૂ.182.37 કરોડ જેટલી હેરાફેરી કરી
પોલીસે આ મામલે ઉંડી તપાસ કરીને આદિપુર, રાપર અને સણવાના રહેવાસીઓ સહિત કુલ 8 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અત્યાર સુધી અંદાજે રૂ.182.37 કરોડ જેટલી હેરાફેરી કરી છે.
આ 8 આરોપી સામે ફરિયાદ
પોલીસે આ મામલે સાયબર ક્રાઇમમાં આદિપુરના યશ મુલચંદભાઈ ભાટીયા, સિધ્ધાર્થ સુનિલભાઈ સોની, રાપરના ઇલ્લુભા મંગુભા જાડેજા, મોટી રવના વિશ્વરાજસિંહ ઉર્ફે વીશુભા બાલુભા જાડેજા, સણવાના હાર્દિક હરેશભાઈ રાજગોર, આદિપુરનો સાહિલ દિનેશભાઈ શર્મા, વિજય રાણા અને અલ્પેશ લુહારે નામના શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
નકલી પેઢીઓ ઊભી કરી ખોટા બેન્ક ખાતા ખોલાવતા
તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ ઓછું ભણેલા લોકોનો સંપર્ક કરીને તેમને પ્રોપરાઇટર બનાવી, ગાંધીધામ અને આદિપુરમાં ભાડે રાખેલી દુકાનોના આધારે નકલી પેઢીઓ ઊભી કરતા હતા. આ પેઢીઓના નામે રજિસ્ટ્રેશન કરાવી, ખોટા ઇનવોઇસ અને બિલ બનાવી કરંટ એકાઉન્ટ ખોલવામાં આવતા હતા. એકાઉન્ટ કીટ અને સિમકાર્ડ પણ પોતે જ રાખવામાં આવતી હતી.
81 બેંક એકાઉન્ટમાં રૂ.1,82,37,68,862ના ટ્રાન્ઝેક્શન
આ એકાઉન્ટ્સનો ઉપયોગ ભારતમાં સાયબર ફ્રોડ અને મની લૉન્ડરિંગ માટે કરવામાં આવતો હતો, જેમાં દરેક એકાઉન્ટ માટે આરોપીઓ મોટું કમિશન મેળવતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે કુલ 81 બેંક એકાઉન્ટમાં રૂ.1,82,37,68,862ના ટ્રાન્ઝેક્શન થયા છે, અને નેશનલ પોર્ટલ પર આ ખાતા વિરુદ્ધ 74 ફરિયાદો નોંધાયેલી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : અમરેલીના ગરણીમાં ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો, ધડાકાથી રસોડું તૂટ્યું, આસપાસના મકાનોને અસર, લોકોમાં ડરનો માહોલ