ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,હર સર કો છતના કાર્ય મંત્ર સાથે વડાપ્રધાન મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સમગ્ર દેશમાં આગામી પાંચ વર્ષ દરમિયાન એક કરોડથી વધુ આવાસ બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ આ યોજના હેઠળ મકાનો તૈયાર કરાશે.
5.50 લાખથી વધુ આવાસોનું નિર્માણ
જે અંતર્ગત ગુજરાત પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં આશરે 5.50 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારે લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. આ આવાસોના નિર્માણથી ગુજરાતના લાખો ગરીબ પરિવારોને પાકા આવાસ મળશે.આગામી પાંચ વર્ષમાં આવાસ નિર્માણના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રીએ અત્યારથી જ જમીન સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરીને વિવિધ કામગીરી હાથ ધરવા માટે રાજ્યના વહીવટી તંત્રને કેબિનેટ બેઠકમાં આદેશો આપ્યા છે.













