કેન્દ્રીય સહકારિતા મંત્રાલય દ્વારા આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકાર વિભાગની દ્વિતીય રાષ્ટ્રીય પરિષદ એટલે કે 'મંથન બેઠક'નું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં મળેલી પ્રથમ સફળ બેઠક બાદ આ બીજી બેઠક છે, જેમાં સહકારિતા ક્ષેત્રે અનેક ક્રાંતિકારી નિર્ણયો લેનાર કેન્દ્રીય મંત્રી અમિત શાહ આખો દિવસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમયે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ પણ હાજર રહી ગરિમા વધારશે.


17 રાજ્યોના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ બનશે મહેમાન

આ બેઠકમાં સહકારિતાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરનું સંકલન સાધવા માટે દેશના 17 રાજ્યોના સહકાર મંત્રીઓ ગુજરાતના મહેમાન બનશે. આ ઉપરાંત તમામ રાજ્યોના સચિવો અને ઉપ-સચિવો પણ આ મંથનમાં જોડાશે. કાર્યક્રમમાં સહકારિતા ક્ષેત્રના વિવિધ પાસાઓને ઉજાગર કરતી એક પ્રદર્શની અને શો-કેસનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યો દ્વારા સહકાર ક્ષેત્રે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.

મંથન બેઠકના મુખ્ય મુદ્દાઓ અને આયામો

આ પરિષદમાં 'સહકારથી સમૃદ્ધિ'ના સંકલ્પને સાકાર કરવા માટે મુખ્ય 3-4 આયામો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં આધુનિક સ્ટોરેજ: દેશભરમાં આધુનિક ગોદામોનું નિર્માણ કરવું, ખાંડ મિલોનું સુદ્રઢીકરણ: ખાંડ મિલોની આર્થિક સક્ષમતા વધારવા માટેના ઉપાયો, બેંકિંગ સેવાઓ: 33 લાખ નવા બેંક એકાઉન્ટ ખોલવા અને ગ્રામીણ સ્તરે માઇક્રો એટીએમની સુવિધા પહોંચાડવા જેવા મુદ્દાઓ પર ગહન ચર્ચા થશે. આ બેઠક ભારતના સહકારી માળખાને વધુ આધુનિક અને આર્થિક રીતે સધ્ધર બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું સાબિત થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: