ગીર સોમનાથ સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નાતાલના મીની વેકેશનને પગલે શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું છે. ગત 25 થી 27 ડિસેમ્બર એમ માત્ર ત્રણ જ દિવસમાં 3 લાખથી વધુ ભાવિકોએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પરપ્રાંતીય પ્રવાસીઓ નવા વર્ષના શુભારંભ પૂર્વે દર્શન માટે ઉમટી પડ્યા છે. પ્રવાસીઓના ભારે ધસારાને કારણે સોમનાથ ટ્રસ્ટની અતિથિગૃહો સહિત શહેરની ખાનગી હોટલો પણ હાઉસફુલ થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સોમનાથમાં શ્રદ્ધાનો મહાસાગર
ભાવિકોની આ અભૂતપૂર્વ ભીડને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દર્શનાર્થીઓને હાલાકી ન પડે તે માટે પૂજાના વધારાના સ્લોટ ફાળવવામાં આવ્યા છે અને રાત્રિના સમયે યોજાતા લાઈટ-એન્ડ-સાઉન્ડ શોના પ્રદર્શનની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. યાત્રિકોની સુવિધા માટે પીવાના પાણી, પાર્કિંગ અને ભોજન પ્રસાદની વ્યવસ્થાનું પણ ટ્રસ્ટ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે, જેથી દરેક ભક્ત શાંતિપૂર્ણ રીતે મહાદેવના આશીર્વાદ મેળવી શકે.













