ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકાનો અવારનવાર અનુભવ થતો હોય છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા આવવાની ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ગીર સોમનાથના તાલાલામાં ચાલુ ડિસેમ્બર મહિનામાં ચારેક વખત ધરતીકંપ આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ત્યારે આજે સવારે 6.07 કલાકે તાલાલામાં 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 18 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું હતું.
આજે વહેલી સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો
ગીર સોમનાથના તાલાલામાં આજે વહેલી સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ પહેલા 12મી ડિસેમ્બરે તાલાલામાં આંચકો આવ્યો હતો. બપોરના સમયે પણ 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ તલાલાથી 14 કિ.મી દૂર નોંધાયું હતું. બીજી તરફ પાંચમી ડિસેમ્બરે પણ તાલાલામાં પ્રથમ આંચકો મોડી રાત્રે અને બીજો આંચકો વહેલી સવારો આવ્યો હતો. 1.6 અને 1.4ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતાં.આ આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી 10 કિ.મી નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું.













