પવિત્ર તીર્થધામ સોમનાથ મહાદેવના દર્શને જઈ રહેલા ત્રણ આશાસ્પદ યુવકોને વેરાવળ બાયપાસ પર કાળ આંબી ગયો છે. વેરાવળ-સોમનાથ બાયપાસ રોડ પર આવેલા તાલાલા ચોકડી બ્રિજ પર સાંજના આશરે પાંચ વાગ્યે એક એક્ટિવા અને મિની ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ જોરદાર ટક્કરમાં એક 18 વર્ષના યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથે સવાર અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે.


તાલાલા ચોકડી બ્રિજ પર અકસ્માત

ઘટનાની મળતી વિગતો અનુસાર, વેરાવળના રહેવાસી 18 વર્ષીય અક્ષર અરવિંદભાઈ ગાઢિયા તેના મોરબીથી આવેલા બે માસિયાઈ ભાઈઓ સાથે એક્ટિવા પર સવાર થઈને સોમનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તાલાલા ચોકડી બ્રિજ પર મિની ટ્રેક્ટર સાથે તેમની એક્ટિવાની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, અક્ષર ગાઢિયાનું સ્થળ પર જ મોત થયું હતું.

એક યુવકની હાલત ગંભીર

જ્યારે એક્ટિવા પર પાછળ બેઠેલા મોરબીના દેવ અશોકભાઈ વિથલપરા (ઉં.વ. 18) અને આર્યન વસંતભાઈ બરાસરા (ઉં.વ. 18) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને ઘાયલ યુવકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી એક યુવકની હાલત વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યો છે. 18 વર્ષના ત્રણ-ત્રણ આશાસ્પદ યુવકોને નડેલા આ ભયાનક અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અને મૃતક તેમજ ઇજાગ્રસ્તોના પરિવારમાં ભારે ગમગીની અને અરેરાટી વ્યાપી ગઈ છે.


આ પણ વાંચો - Gir Somnath: ગુજરાત પોલીસનો દેશવ્યાપી ઐતિહાસિક સપાટો, ગીર સોમનાથમાં 310 કરોડના મેગા સાયબર ફ્રોડનો પર્દાફાશ


  • Follow us on: