સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સેશન્સ કોર્ટે હત્યાના એક સનસનાટીભર્યા કેસમાં અત્યંત કડક અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. વર્ષ 2023માં જિલ્લાના ઈલોલ ગામમાં આવેલા એક સલૂનમાં થયેલી ઘાતકી હત્યાના ચકચારી મામલે ન્યાયાલયે ન્યાયના હિતમાં મોટો નિર્ણય લીધો છે. કોર્ટે આ કેસની ગંભીરતા અને ક્રૂરતાને ધ્યાને રાખીને બે મુખ્ય આરોપીઓને ફાંસીની (મૃત્યુદંડ) સજા ફટકારી છે, જ્યારે ગુનામાં સાથ આપનારા અન્ય એક આરોપીને સાત વર્ષની સખત કેદની સજાનો આદેશ કર્યો છે.


સલૂનમાં ઘાતકી હુમલો કરી નીપજાવી હતી હત્યા

આ કેસની વિગતો મુજબ ત્રણેક વર્ષ અગાઉ એટલે કે વર્ષ 2023માં ઈલોલ ગામના એક સલૂનની અંદર આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને એક વ્યક્તિ પર ઘાતકી અને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભોગ બનનાર વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યાની આ વારદાતને અંજામ આપ્યા બાદ કાયદાના સકંજામાંથી બચવા માટે આરોપીઓએ ઘટનાસ્થળેથી લોહી અને અન્ય પુરાવાઓ નષ્ટ કરવાનો તેમજ સળગાવી દેવાનો પણ હીન પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની ત્વરિત અને વૈજ્ઞાનિક તપાસમાં તમામ કડીઓ ખૂલી ગઈ હતી.

સરકારી વકીલની ધારદાર દલીલો ગ્રાહ્ય

આ હાઈપ્રોફાઈલ કેસ હિંમતનગર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ મજબૂત કાયદાકીય દલીલો, સાક્ષીઓની જુબાની અને સચોટ ફોરેન્સિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ પાસાઓની ચકાસણી કર્યા બાદ મુખ્ય આરોપીઓ મોહંમદ નદીમ મોહંમદ કુતુબિન અંસારી અને શહેબાઝ અહેમદ મોહંમદ મુલતાની અંસારીને દોષિત ઠેરવી ફાંસીની સજા ફટકારી છે. જ્યારે હત્યા બાદ પુરાવા નષ્ટ કરવામાં મદદ કરનાર ત્રીજા આરોપી પરવેઝ મુશર્રફ નૌશાદહુસૈન અંસારીને સાત વર્ષની કેદની સજા સંભળાવી છે. કોર્ટના આ કડક વલણથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: