વર્તમાન સમયમાં ડિજિટલ વ્યવહારો વધવાની સાથે સાયબર અપરાધોનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન હિંમતનગર દ્વારા સાબરકાંઠાના જુમસર ગામ ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના રહીશો તેમજ ત્યાં ચાલી રહેલા એન.એસ.એસ. (NSS) કેમ્પના વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં થતા વિવિધ સાયબર ફ્રોડ અને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


સોશિયલ મીડિયા અને ઓનલાઇન ફ્રોડ અંગે જાગૃતિ

સાયબર પોલીસની ટીમે ગ્રામજનો અને વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે, કઈ રીતે અજાણ્યા લિંક્સ પર ક્લિક કરવાથી કે ઓટીપી (OTP) શેર કરવાથી બેંક ખાતામાંથી નાણાંની ચોરી થઈ શકે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે Facebook, Instagram અને WhatsApp પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા ન કરવા અને અંગત માહિતી શેર ન કરવા અંગે પોલીસ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો.

મહત્વના મુદ્દાઓ પર અપાયું માર્ગદર્શન

  • લોન ફ્રોડ અને લકી ડ્રો: લલચામણી લોન એપ્લિકેશન કે ઇનામ લાગ્યાના ફેક કોલ્સથી સાવધ રહેવું
  • ડિજિટલ એરેસ્ટ: હાલમાં ચાલી રહેલા 'ડિજિટલ એરેસ્ટ' જેવા ભય ફેલાવતા કોલ્સ અંગે જાગૃત રહેવું
  • હેલ્પલાઇન નંબર 1930: જો કોઈ વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બને, તો તાત્કાલિક 1930 નંબર પર કોલ કરવા અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવા જણાવાયું હતું.

વિદ્યાર્થીઓની સક્રિય ભૂમિકા

NSS ના વિદ્યાર્થીઓને સાયબર સૈનિક બની પોતાના પરિવાર અને આસપાસના લોકોને જાગૃત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જાગૃતિ એ જ સાયબર ક્રાઇમ સામેનું સૌથી મોટું શસ્ત્ર છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાઓ હાજર રહ્યા હતા અને સાયબર સુરક્ષાના શપથ લીધા હતા.


આ પણ વાંચો - Himatnagar હાઈવે પર ડમ્પરનો કહેર, કરણપુર પાટીયા પાસે પાર્ક કરેલી 8 ગાડીઓનો કચ્ચરઘાણ


  • Follow us on: