કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આપેલા પોલીસ સામેના નિવેદન બાદ પોલીસ પરિવારમાં રોષ ફેલાયો છે. ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં પોલીસ પરિવાર રોષે ભરાયો છે અને વિરોધ કરી રહ્યો છે. હિંમતનગરમાં પોલીસ પરિવાર દ્વારા બેનરો સાથે ભારે સુત્રોચ્ચાર કરીને રેલી યોજવામાં આવી હતી. પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા રેલી યોજીને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. નિવૃત્ત પોલીસ સંગઠન દ્વારા જન આક્રોશ રેલીનો વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જો મેવાણી માફી નહીં માગે તો રેલી યોજવાની ચીમકી ઉચ્ચારાઈ છે.


કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે ભયંકર રોષ

તાજેતરમાં થરાદમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પોલીસ વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું. લોકો સાથે થરાદ પોલીસ સ્ટેશન પહોંચેલા જિજ્ઞેશ મેવાણીએ થરાદના પોલીસ વડા સહિતના સ્ટાફને પોલીસના પટ્ટા ઉતરાવી દેવાનું જાહેરમાં નિવેદન કર્યું હતું. ત્યાર બાદ પોલીસ પરિવાર રોષે ભરાયો હતો. પોલીસ પરિવારની મહિલાઓએ હિંમતનગર આંબાવાડી પોલીસ રેસિડેન્સ પાર્કથી મહાવીરનગર ચાર રસ્તા સુધી રેલી યોજીને સુત્રોચ્ચાર કર્યા હતાં.

પોલીસને મળેલી ટોપી અને પટ્ટા સંવિધાનથી મળ્યા છે

રેલીમાં જોડાયેલા લોકોએ કહ્યું હતું કે, પોલીસને મળેલી ટોપી અને પટ્ટા સંવિધાનથી મળ્યા છે. કોઈ રાજકીય નેતા દ્વારા નહીં. બીજી તરફ નિવૃત્ત પોલીસ કર્મીના સંગઠન દ્વારા જન આક્રોશ રેલી કાઢવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જિજ્ઞેશ મેવાણી માફી નહીં માંગે તો આવતીકાલે જન આક્રોશ રેલીનો વિરોધ કરવામાં આવશે. આજથી સાબરકાંઠામાં કોંગ્રેસની જન આક્રોશ રેલીનો પ્રારંભ થયો છે. આવતીકાલે 10 વાગે આ રેલી હિંમતનગર પહોંચશે.બીજી તરફ મહેસાણામાં પણ પોલીસ પરિવાર દ્વારા ભારે સુત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. પોલીસ હેડ ક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને આવેદન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યની કોઈપણ કોલેજમાંથી રેગિંગની ફરિયાદ મળશે તો સરકાર એક્શન લેશે


  • Follow us on: