જામનગર મહાનગરપાલિકાના સક્રિય રાજકારણમાં જાણીતું નામ એવા અસલમ ખીલજી પર મોડી સાંજે હુમલો થયો હતો. અજાણ્યા શખ્સોએ તેમને નિશાન બનાવી ઇજા પહોંચાડી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં અસલમ ખીલજીને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.


પક્ષપલટા બાદ હુમલો

નોંધનીય છે કે અસલમ ખીલજી અગાઉ કોંગ્રેસમાં હતા અને વિપક્ષના નેતા તરીકે સેવા આપી ચુક્યા છે, પરંતુ તાજેતરમાં જ તેઓ કોંગ્રેસનો સાથ છોડીને આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા હતા. પક્ષપલટાના થોડા સમય બાદ જ તેમના પર હુમલો થતા રાજકીય અદાવત હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.

પોલીસ તપાસ તેજ

હુમલાની જાણ થતા જ પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હુમલાખોરો કોણ હતા અને હુમલો કરવા પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે કોર્પોરેટરના સમર્થકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: