'છોટા કાશી' તરીકે જાણીતા જામનગર શહેરમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે શહેરના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા કાશી વિશ્વનાથ મંદિર ખાતે 72 કલાકના અખંડ મંત્રોચ્ચારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનથી સમગ્ર મંદિર પરિસર દિવ્ય ઊર્જા અને ભક્તિમય વાતાવરણમાં તરબતર થઈ ગયું છે.


વૈદિક મંત્રોચ્ચાર અને મહાઆરતીનું આયોજન

આ વિશેષ અનુષ્ઠાન અંતર્ગત વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સતત 72 કલાક સુધી શાસ્ત્રોક્ત વિધિ સાથે વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. આગામી 10 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ સાંજે ભવ્ય મહાઆરતી, સત્સંગ અને ભજનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. "ૐ નમઃ શિવાય" ના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે, જેનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.

રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ

આ દિવ્ય સત્સંગ અને મંત્રોચ્ચારના કાર્યક્રમમાં જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ મેયર બીનાબેન કોઠારી તથા શહેરના કોર્પોરેટરો અને અગ્રણીઓએ પણ શિવ આરાધનામાં સહભાગી થઈને ધન્યતા અનુભવી હતી. શ્રદ્ધાળુઓ માટે આ આયોજન માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ આધ્યાત્મિક શાંતિ મેળવવાનું એક ઉત્તમ માધ્યમ બન્યું છે.


આ પણ વાંચો - Jamnagar News: ઘોડીપાસાના જુગાર ધામ પર રેડ, 24 શખ્સો ઝડપાયા



  • Follow us on: