જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા અતિક્રમણને લઈને સાધુ-સંતોમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે. સનાતન પરંપરા અને ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવતા ચેડાં સામે વિરોધ નોંધાવતા ગૌરક્ષ આશ્રમના મહંત શેરનાથ બાપુએ આકરા શબ્દોમાં પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગિરનારની પવિત્રતા સાથે ચેડાં કરનારા તત્વોએ મર્યાદામાં રહેવું જોઈએ. સંતોએ એકત્ર થઈને ચેતવણી આપી છે કે જો આ અતિક્રમણ દૂર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સનાતની સંસ્થાઓ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
ગિરનારની પવિત્રતા જોખમમાં?
મહંત શેરનાથ બાપુએ અતિક્રમણ કરનારા તત્વોને લપડાક આપતા વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું કે, ‘જો તમારામાં ખરેખર તાકાત હોય તો પાકિસ્તાનમાં જઈને ધજા ફરકાવો, અહીં શાંત ગિરનારની ધરતી પર અશાંતિ ફેલાવવાનું બંધ કરો.’ સંતોના મતે ગિરનાર એ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર ધાર્મિક દબાણ સહન કરવામાં આવશે નહીં. આ મામલે સ્થાનિક પ્રશાસન પણ સક્રિય થાય અને પર્વત પર વધી રહેલી શંકાસ્પદ ગતિવિધિઓ પર અંકુશ લગાવે તેવી માંગ સંતો દ્વારા કરવામાં આવી છે.













