જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે આક્રમક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વારંવાર નોટિસ આપવા છતાં વેરો ન ભરતા આસામીઓ સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે. જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન કુલ સાત મિલકતોને સીલ મારી દેવામાં આવતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નોટિસની અવગણના ભારે પડી
જૂનાગઢ મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મિલકત ધારકો લાંબા સમયથી વેરો ભરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા હતા. તંત્ર દ્વારા અગાઉ અનેકવાર કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી, તેમ છતાં બાકી રકમ જમા ન કરાવતા આખરે જૂનાગઢ મનપાની ટીમ દ્વારા મિલકતો સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન પાલિકાએ સ્થળ પર જ કુલ પાંચ લાખ રૂપિયાની રિકવરી પણ કરી છે.













