તાજેતરમાં સાઇબર ક્રાઇમના ગુનામાં કેરાળા ગામમાં આવેલ બાલકૃષ્ણ ગૌશાળાના કલ્યાણગીરીની ધરપકડ કરવામાં આવી છે.ત્યારે બાલકૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ અંગે વૈષ્ણવ વિરક્ત સાધુ સમાજના પ્રમુખ હરિદાસ બાપુ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગિરનારની તળેટીમાં સાધુ સમાજની ગરિમાને ઠેસ પહોંચાડતા સાઇબર ક્રાઇમના ગુનામાં કલ્યાણ ગીરી ધરપકડ થતા વૈષ્ણવ વિરક્ત સાધુ સમાજના પ્રમુખ હરિદાસ બાપુ દ્વારા બાલકૃષ્ણ ગીરી બાપુ ગૌશાળા ટ્રસ્ટ સાથે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.હરિદાસ બાપુએ ટ્રસ્ટના દસ્તાવેજો સાથે મેદાનમાં આવીને મહાદેવગીરી બાપુ પર ગંભીર આક્ષેપો કર્યા છે.
કરોડો રૂપિયાનો વહીવટ કરવામાં આવી રહ્યો છે
તેમણે દાવો કર્યો છે કે બાલકૃષ્ણગીરી બાપુ ગૌશાળા ટ્રસ્ટમાં મહાદેવગીરી બાપુ મુખ્ય ટ્રસ્ટી હોવા છતાં તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. કલ્યાણગીરી અને તેમના સાગરિતો દ્વારા ટ્રસ્ટના નામે કરોડો રૂપિયાનો વહીવટ કરવામાં આવી રહ્યો છે.ગૌસેવાના બહાને લાખો-કરોડોનું ભંડોળ ઉઘરાવીને બ્લેક મનીને વ્હાઈટ કરવાનું મોટું રેકેટ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ થયો છે.પ્રશાસન સામે સીધો સવાલ કરતા તેમણે જણાવ્યું કે,જે સંસ્થાઓ 100-150 ગાયોના નામે કરોડો રૂપિયા ખાઇ ગયા છે, તેની તપાસ કેમ થતી નથી?. ધર્મને ધંધો બનાવી બેઠેલા આવા લેભાગુ તત્વો સામે એસ.પી.જૂનાગઢ અને રાજ્ય સરકાર કડક પગલાં ભરે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.













