ભારે કમોસમી વરસાદથી થયેલ નુકશાની અંગે સરકારે ખેડૂતોને રાહત પેકેજ જાહેર કર્યું હતું. જે સહાય મેળવવા માટે ખેડૂતોની અરજીઓ લેવામાં આવી હતી. જે અન્વયે ભેંસાણ તાલુકામાં ખજૂરી હડમતીયા ગામમાં મૃત ખેડૂતોના નામે ફોર્મ ભરીને સહાય મેળવવાના પ્રયાસનો ભાંડાફોડ થયો છે અને ગ્રામ પંચાયતના વીસીઈ સામે પોલીસમાં ગુનો નોધવામાં આવ્યો છે. આ કૌભાંડમાં આરોપી વીસીઈએ ફિનાઈટ ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ખોટા ફોર્મ ભરી સરકારને છેતરવાનો આરોપ
ભેંસાણ પોલીસ સ્ટેશનમાં તાલુકા પંચાયતના સીડીપી ગ્રામ સેવક કેયુરકુમાર પ્રવીણભાઈ કથીરીયાએ ખજૂરી હડમતીયા ગ્રામ પંચાયતના વીસીઈ તરીકે ફરજ બજાવતા જયેશ રામજી ખંભાળીયા સામે ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદ નોંધાયા બાદ વીસીઈ જયેશ ખંભાળીયાએ ફિનાઈલ ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેની સામે ખોટા ફોર્મ ભરી સરકારને છેતરવાનો આરોપ લગાવાયો છે. ત્યારે તેના પરિવારજનોનો ભૂલથી ફોર્મ ભરાયા હોવાનો ખુલાસો પણ સામે આવ્યો છે.













