જૂનાગઢને વર્ષ 2002માં જ્યારે 'મહાનગરપાલિકા'નો દરજ્જો મળ્યો, ત્યારે શહેરીજનોને આશા હતી કે, શહેરમાં મેટ્રો સિટી જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આશ્ચર્યની વાત એ છે કે, વિકાસની હરણફાળ ભરવાને બદલે શહેરે પોતાની પાયાની સુવિધા પણ ગુમાવી દીધી છે. જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન ગણાતી સીટી બસ સેવા છેલ્લા 7 વર્ષથી સંપૂર્ણપણે બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે, જેના કારણે સામાન્ય જનતા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે.
એક કડવી વાસ્તવિકતા એ છે કે, જૂનાગઢ કદાચ સમગ્ર ગુજરાતનું એકમાત્ર એવું મ્યુનિસિપલ કોર્પોરેશન છે, જ્યાં તંત્ર દ્વારા સીટી બસ સેવાનું કોઈ જ સંચાલન થતું નથી. ઈતિહાસ પર નજર કરીએ તો, જ્યારે જૂનાગઢ માત્ર એક નગરપાલિકા હતું, ત્યારે પણ શહેરમાં વ્યવસ્થિત રીતે 4 અલગ-અલગ રૂટ પર બસો દોડતી હતી. શહેરીજનો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ આ સેવાનો બહોળા પ્રમાણમાં લાભ લેતા હતા. પરંતુ કોર્પોરેશન બન્યા બાદ સુવિધાઓમાં વધારો થવાને બદલે, જે ચાલુ સુવિધા હતી તે પણ છીનવાઈ ગઈ છે.













