ઉનાળાની સિઝન અને વેકેશનના માહોલમાં વોટરપાર્કમાં આનંદ માણવા જતાં પરિવારો માટે લાલબત્તી સમાન એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના જૂનાગઢ જિલ્લામાંથી સામે આવી છે. કેશોદમાં આવેલા પ્રખ્યાત 'કિંગડમ વોટરપાર્ક'માં ન્હાવા પડેલા એક આઠ વર્ષના માસૂમ બાળકનું પાણીમાં ડૂબી જતાં કરૂણ મોત નિપજ્યું છે. આ અકસ્માતને પગલે હસતા-રમતા પ્રવાસી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.



ભાવનગરથી ફરવા આવેલા પરિવાર પર તૂટ્યો આભ

ઘટનાની મળતી વિગતો અનુસાર, મૂળ ભાવનગરનો એક પરિવાર વેકેશનની રજાઓ માણવા માટે જૂનાગઢ પ્રવાસે આવ્યો હતો. આ પરિવાર કેશોદના કિંગડમ વોટરપાર્કમાં વોટર રાઇડ્સની મજા માણી રહ્યો હતો, ત્યારે જ તેમનો આઠ વર્ષનો માસૂમ દીકરો અચાનક પાણીના ઊંડા ભાગમાં ગરકાવ થઈ ગયો હતો. બાળક ડૂબી રહ્યો હોવાની જાણ થતાં જ ભારે દોડધામ મચી ગઈ હતી.


તબીબોએ મૃત જાહેર કર્યો, મેનેજમેન્ટ સામે ભારે રોષ

બાળકને પાણીમાંથી બહાર કાઢીને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ત્યાંના હાજર તબીબોએ બાળકને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે મૃતક બાળકના માતા-પિતા અને પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું હતું. આ દુર્ઘટના બાદ વોટરપાર્ક મેનેજમેન્ટની ઘોર બેદરકારી સામે સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સુરક્ષાના પૂરતા સાધનો અને લાઈફગાર્ડની હાજરી કેમ ન હતી તેવા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.


પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા

ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસની ટીમ હોસ્પિટલ અને વોટરપાર્ક ખાતે દોડી ગઈ હતી. પોલીસે માસૂમ બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી સમગ્ર મામલે કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. વોટરપાર્ક પ્રશાસન દ્વારા સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ અને કોની બેદરકારીથી બાળકે જીવ ગુમાવવો પડ્યો, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Junagadh : ગીરના જંગલમાંથી આવ્યા આનંદના સમાચાર, આઇસોલેશનમાં સારવાર લઈ રહેલા 7 વનરાજ થયા મુક્ત


  • Follow us on: