કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો વિરુદ્ધ ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોડા સમયના વિરામ બાદ આજે પાલિકાનું બુલડોઝર ભારત નગર વિસ્તારમાં ત્રાટક્યું હતું. ખાસ કરીને રેલવે લાઇન પાસે આવેલી સરકારી જમીન પર ખડકાયેલા દબાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ મેગા ડિમોલિશન દરમિયાન રેલવે ટ્રેકની આસપાસ આવેલા અંદાજે 182 જેટલા કાચા ઝૂંપડાઓ અને ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. તંત્રની આ અચાનક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.


દબાણ હટાવો ઝુંબેશ તેજ

પાલિકા દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. રેલવે સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે આ દબાણો લાંબા સમયથી તંત્રની નજરમાં હતા, જેને પગલે આજે મોટી કવાયત હાથ ધરી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરના અન્ય વિસ્તારોમાં પણ જે જગ્યાએ જાહેર માર્ગો કે સરકારી જમીન પર દબાણ હશે તેને આગામી દિવસોમાં આ જ પ્રકારે દૂર કરવામાં આવશે. આ કામગીરીથી ભારત નગર રેલવે લાઇન વિસ્તારની કાયાપલટ થશે અને ટ્રેનોની અવરજવર પણ સુરક્ષિત બનશે.

આ પણ વાંચો : Ahmedabad News : બોડકદેવ દંપતી મોત કેસમાં ACP નો ખુલાસો, જાણો કેવી રીતે બની સમગ્ર ઘટના...

  • Follow us on: