ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવો તળિયે બેસી જતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલમાં ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળીના ભાવ માત્ર રૂ.3.50થી રૂ.5.00 સુધી મળી રહ્યા છે, જે પાણીના ભાવ સમાન છે. આ મામૂલી રકમમાં ડુંગળી વેચવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. આ ભાવ તો ખેડૂતોનો મજૂરી ખર્ચ પણ માંડ નીકળી શકે તેટલો ઓછો છે.
ખેડૂતોએ સરકાર સમક્ષ કરી માંગ
એક તરફ ખેડૂતોને કમોસમી વરસાદની માર સહન કરવી પડી છે અને બીજી તરફ હરાજીમાં આટલો નીચો ભાવ મળવાથી ખેડૂતોને ડબલ ફટકો પડ્યો છે. નીચા ભાવ અને વરસાદના કારણે થયેલા નુકસાનથી ખેડૂતો ચિંતિત છે. ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે તેમને ડુંગળીના પાકનો વ્યાજબી ભાવ મળે જેથી તેઓ ફરીથી આર્થિક રીતે બેઠા થઈ શકે.













