ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તાજેતરમાં વડનગરની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાત વિશે સ્થાનિક વહીવટી તંત્રને પણ અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. જેના કારણે મુલાકાત દરમિયાન કોઈ પોલીસ બંદોબસ્ત કે સિક્યુરિટી જોવા મળી ન હતી. કોઈપણ પ્રકારની સુરક્ષા કે સરકારી લશ્કર વગર હર્ષ સંઘવી વડનગરના વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિ નિહાળવા માટે ફર્યા હતા.
પ્રેરણા સ્કૂલ, મ્યુઝિયમ, સિવિલની મુલાકાત લીધી
હર્ષ સંઘવીએ વડનગરના મહત્ત્વપૂર્ણ સ્થળો જેવા કે પ્રેરણા સ્કૂલ, મ્યુઝિયમ, અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે બી.એન. હાઈસ્કૂલ, વોચ ટાવર, અને રેલવે સ્ટેશન સહિતના અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી હતી. નાયબ મુખ્ય પ્રધાને ખાસ કરીને વડનગરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું હતું. તંત્રને જાણ કર્યા વગરની તેમની આ મુલાકાતનો હેતુ વિકાસ કાર્યોની વાસ્તવિક સ્થિતિ અને ગુણવત્તાનું તટસ્થ મૂલ્યાંકન કરવાનો હોવાનું માનવામાં આવે છે.













