મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે એક જ દિવસમાં મોરબી શહેરના અલગ-અલગ વિસ્તારો અને ગ્રામ્ય પંથકમાંથી કુલ 8 લોકોને કૂતરાઓએ કરડવાની ઘટના સામે આવી છે. આ તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
બાળકોથી લઈને વૃદ્ધો બન્યા શિકાર
ઘટનાની મળતી માહિતી અનુસાર, આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના કેસોની લાઈનો લાગી હતી. જેમાં રણછોડનગરમાં રહેતી માત્ર 5 વર્ષની બાળકી આરજુબેન રિયાઝભાઈ પણ કૂતરાનો શિકાર બની હતી. આ ઉપરાંત ઘુનડા, વાધરવા, લખધીરનગર અને સામાં કાંઠા વિસ્તારમાં પણ કૂતરાઓએ લોકોને નિશાન બનાવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી.













