નડિયાદમાં આવેલી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓની પજવણી થતી હોવાના ગંભીર આક્ષેપોને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. આ મામલાની ગંભીરતાને જોતા SC/ST સેલના DySP કે.કે. રાઠોડે રૂબરૂ છાત્રાલયની મુલાકાત લીધી હતી. તેમણે અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી હતી. પજવણીના આ કિસ્સામાં બેદરકારી બદલ છાત્રાલયના વોર્ડનને તાત્કાલિક કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જેનાથી સમગ્ર સંસ્થામાં ખળભળાટ મચી ગયો છે.
છાત્રાલયમાં પજવણીથી ફફડાટ
વિદ્યાર્થીનીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા પોલીસ અને તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. છાત્રાલયના પાછળના ભાગેથી થતી અનિચ્છનીય હિલચાલ રોકવા માટે ત્યાં સીસીટીવી (CCTV) કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે છાત્રાલયની કમ્પાઉન્ડ દીવાલ પર કાંટાળા તારની ફેન્સિંગ પણ કરવામાં આવશે. DySPએ ખાતરી આપી છે કે વિદ્યાર્થીનીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવશે અને પજવણી કરનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.













